ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન
દરેક વર્ષે રાજ્યની મહેસૂલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુરુપ ભારતના એકત્રિત ભંડોળમાંથી જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીક ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.
પરંતુ, ભારત સરકારના એકત્રિત ભંડોળમાંથી રાજ્યની મહેસૂલી આવકમાં સહાયક ગ્રાન્ટ તરીકે એવી મૂડીરૂપ કે આવર્તક રકમ ચૂકવાશે જે રકમ તે રાજ્યોને, તે રાજ્યો ભારત સરકારની મંજૂરીથી પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણને આગળ ધપાવવા માટે અથવા પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની કક્ષા ઊંચી લાવવા માટે અથવા અનુસૂચિત વિસ્તારોમાં વહીવટની કક્ષા રાજ્યના અન્ય વિસ્તારોમાં રહેલી વહીવટની કક્ષાની સમકક્ષ બનાવવાના હેતુથી ઊંચી લાવવા માટે, સહાયક બનવાના હેતુથી ચૂકવવામાં આવશે.
(અ) પરંતુ, બંધારણની અનુસૂચિ ૬ ના ફકરા નં.૨૦ ની સાથે જોડેલા ટેબલના ભાગ-૧ માં નિર્દિષ્ટ કરેલા આદિવાસી વિસ્તારોના વહીવટ સંબંધિત, આ બંધારણનો અમલ શરૂ થયો તેની તરત પહેલાંના બે વરસ દરમિયાન આસામ રાજ્યની અંદર મહેસૂલી આવક કરતાં સરેરાશ ખર્ચ જેટલો વધુ થયો હોય તેની બરાબરના મૂડીખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી રકમ ભારતના એકત્રિત ભંડોળમાંથી આસામની મહેસૂલી આવક તરીકે સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.
(બ) તે રાજ્ય દ્વારા ભારત સરકારની મંજૂરીથી તે રાજ્યના સંબંધિત વિસ્તારોના વહીવટની કક્ષાને ઊંચી લાવી રાજ્યના અન્ય વિસ્તારોના વહીવટની સમકક્ષ બનાવવા માટે વિકાસની જે યોજનાઓ સંબંધિત ખર્ચ થયો હશે તે તમામ ખર્ચ સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે.
(૧-અ) બંધારણની કલમ ૨૪૪-A નીચે સ્વાયત રાજ્યની રચના હાથ ધરાતાં અને તે પછી
જો તે સ્વાયત્ત રાજ્ય તેમાં નિર્દિષ્ટ કરેલ તમામ આદિવાસી વિસ્તારોનું જ બનેલું હોય તો પેટા કલમ(૧)ની બીજા પરંતુકની પેટા કલમ(અ) નીચે ચૂકવવાપાત્ર કોઈપણ રકમ તે સ્વાયત રાજ્યને ચૂકવવી અને જો તે સ્વાયત રાજ્યમાં માત્ર અમુક જ આદિવાસી વિસ્તારોનો સમાવેશ થયેલો હોય તો રાષ્ટ્રપતિ પોતાના હુકમ દ્વારા જે સૂચવે છે તે પ્રમાણે આસામ રાજ્ય અને તે સ્વાયત રાજ્ય વચ્ચે ફાળવવા.
સ્વાયત રાજ્યની મહેસૂલી આવકમાં, તે સ્વાયત રાજ્ય ભારત સરકારની મંજૂરીથી, આસામ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે તેના વહીવટની કક્ષા સમકક્ષ બનાવવા માટે, જે યોજનાઓનો અમલ કરે તેના મૂડી ખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી પૂરેપૂરી રકમ, સહાયક ગ્રાન્ટ તરીકે ભારતના એકત્રિત ભંડોળમાંથી ચૂકવવી.
પેટા કલમ(૧) નીચે જ્યાં સુધી સંસદ દ્વારા જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી, તે પેટા કલમ નીચે સંસદને આપવામાં આવેલી સત્તાનો રાષ્ટ્રપતિ દ્વારા કરાતા હુકમથી ઉપયોગ કરાશે અને આ પેટા કલમ નીચે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલ કોઈપણ હુકમ સંસદ દ્વારા કરાતી કોઈપણ જોગવાઈને આધીન રહીને અમલી બનશે.
પરંતુ જ્યારે નાણાંપંચની રચના કરાશે તે પછી નાણાંપંચની ભલામણની ઉપર વિચારણા કર્યા વિના, આ કલમ નીચે રાષ્ટ્રપતિ કોઈ હુકમ જારી કરશે નહિ.